Day: ઓક્ટોબર 5, 2012

રમૈયા વત્સા વૈયા…

(આ પોસ્ટથી હું આ બ્લોગમાં એક નવી કેટેગરી ઉમેરું છું. “મેરી કહાની, ગીતોં કી ઝુબાની”. આપ સૌ જાણો છો કે ગમતીલા ગીતો સાથે થોડી યાદો, થોડી લાગણીઓ, અને થોડા કિસ્સા જોડાયેલા હોય છે. તો બસ એને અહી આપ સહુ ની વચ્ચે વહેંચી રહ્યો છું. આશા રાખું છું કે આપને ગમશે. ક્યાંક મારી સાથે સાથે તમને પણ પ્રસ્તુત ગીત ફરીથી તાજું થઇ જાય કે અહીં કોઈ ગીતને નજીકથી જાણ્યા પછી તે તમારું પણ ગમતીલું થઇ જાય, બસ પછી તો શું જોઈએ,હું તો માનું છું કે જિંદગીનો સદ્દઉપયોગ પ્રેમ કરવામાં અને ગીતો ગાવામાં જ છે, જે ઘડીને આપણે સંગીતમાં મગ્ન થઈને પસાર કરી છે, તે પળને આપણે પૂરી રીતે જીવી છે )

ફિલ્મ – શ્રી ૪૨૦
વર્ષ – ૧૯૫૫
ગીત – રમૈયા વત્સા વૈયા…
ગાયકો – મહંમદ રફી,મુકેશ,લતા મંગેશકર
ગીતકાર -શૈલેન્દ્ર
સંગીત – શંકર-જયકિશન

શ્રી ૪૨૦ નું “રમૈયા વત્સા વૈયા….” મેં અત્યાર સુધી સાંભળેલા બધા ગીતો માંનું મારું સૌથી પ્રિય ગીત. તમને તો પ્રશ્ન થતા થાય પણ મને પણ ઘણી વાર પ્રશ્ન થાય કે એવું તે શું ખાસ છે તે ગીત માં, અથવાતો એવું શું છે તે ગીતમાં જે બીજા ગીતો માં નથી. આજે ફરી થી એ વિષે વિચાર્યું તો જવાબ મળી ગયો, એક નહિ પણ અનેક કારણો છે મને તે ગીત ગમવા પાછળ.
પહેલું કારણ રાજ કપૂર, મારો અને મારા ફાધર નો ફેવરીટ એક્ટર રાજ કપૂર. અને અમારા બંનેની ફેવરીટ ફિલ્મ “શ્રી ૪૨૦” . અમે રાજ કપૂર ની ઘણી ફિલ્મો સાથે જોઈ. ઓગસ્ટ ૨૦૦૬ માં પપ્પાનું અવસાન થયું તેના થોડા સમય પહેલા જ અમે તે ફિલ્મ સાથે જોયેલી. ત્યારબાદ લાંબા સમય સુધી સીડી પ્લેયર માં કોઈ ફિલ્મ જોવામાં આવી નહિ હોય એટલે તેમના અવસાન બાદ થોડા મહિના પછી જયારે મેં સીડી પ્લેયર ચાલુ કર્યું ત્યારે તેમાં “શ્રી ૪૨૦ ” ની સીડી જ હતી.
પપ્પાનું અવસાન થયું ત્યારે મને ઘણા ગીતો સાંભળીને તેમની જ યાદ આવતી.
“રમૈયા વત્સા વૈયા….” નો એક અંતરો મને તેમની યાદ અપાવતો “રસ્તા વોહી ઔર મુસાફિર વહી એક તારા નાજાને કહાં છુપ ગયા…. દુનિયા વહી, દુનિયાવાલે વહી, કોઈ ક્યા જાને કિસકા જહાં લૂટ ગયા.” એજ રીતે રાજ કપૂર “મેરા નામ જોકર” માં રશિયન છોકરીને કહે છે કે મારા પિતા નથી! “પાપા …. નિયત , નિયત ” (રશિયન ભાષામાં નિયત એટલે નથી) . ત્યારે પણ મને પપ્પા ખૂબ યાદ આવે.
એજ રીતે “રોગ” ફિલ્મનું એક ગીત સાંભળીને હું તેમને ખુબ યાદ કરતો “તેરે ઇસ જહાં મેં એ ખુદા, વો નહિ તો લગતા હૈ કુછ નહિ, નહિ હોકે ભી હૈ વો હર જગાહ, કરું કયું યકી કે વો અબ નહીં”
માણસની નિર્દોષતા લાંબા સમય સુધી તેની સાથે નથી રહેતી, દુનિયાદારી ના રંગમાં તે વહેલો મોડો , વત્તો ઓછો રંગાઈ જ જાય છે, પહેલા કોઈ મારી સાથે કઈ ખરાબ કરતુ તો હું વિચારતો, કે હશે , ભગવાને મારી સાથે તેમ કરવા માટે તેને નિમિત્ત બનાવ્યો હશે. પણ હમણાં થોડા દિવસ પહેલા એક ગરીબ ભિખારી મારી પાસે ભીખ માંગવા આવ્યો ત્યારે મેં તેને તરછોડ્યો, અને અચાનક મારા અંતર માં એક ટકોર થઇ! કશું ખરાબ થાય છે તેમાં હું પણ નિમિત્ત બનતો હોઉં છું! આવું કઈ થાય ત્યારે મને “રમૈયા વત્સા વૈયા….”નો આ અંતરો યાદ આવે – “નૈનોમેં થી પ્યારકી રોશની, તેરી આંખો મેં યે દુનિયાદારી ના થી, તું ઔર થા, તેરા દિલ ઔર થા, તેરે મનમેં યે મીઠી કટારી ના થી…”
હું નાનો હતો ત્યારે મામાને ત્યાં વેકેશનમાં જતો, તે ગામનું નામ ગારીયાધાર. ત્યાં એક ગુલ્ફીવાળો આવે અને મને તેની ગુલ્ફી બહુ ભાવે . મામાના ઘરની બાજુમાં એક મુસ્લિમ પરિવાર રહે. મારા મોટાભાઈ (મામાના સુપુત્ર અભિજિતભાઈ) ના મિત્ર ઇકબાલભાઈ તે પરિવારના. ઇકબાલભાઈ ના મમ્મીને મારા માટે બહુ લાગણી રહેતી. હું બહુ નાનો હતો, તે મને તેમના ઘરે બોલાવતા, હું ના જતો, પછી મને ગુલ્ફીનું લાલચ આપતા, એટલે હું જતો. ગુલ્ફીવાળા ની રાહ જોતો હું તેમને ત્યાં ખાટલા પર બેસી રહેતો, તે વાસણ માંજતા, ઘરનું બીજું કામ કરતા કરતા મારી સાથે વાતો કરે, અને મારી કાલી ઘેલી વાતો સાંભળી ને ખુબ હસે. પછી ગુલ્ફી વાળો આવે એટલે જે કામ કરતા હોય તે પડતું મૂકી ને દોડે, ભર બપોરે, તડકામાં ગુલ્ફી લેવા, મને યાદ છે એક વખતતો પગ માં કશું પહેર્યા વગર દોડેલા. અને પછી ગુલ્ફીને જોઈ ને હું જેટલો હરખાવ તેના કરતા વધારે તે હરખાતા હોય, મને ગુલ્ફી ખાતો જોઈ ને ! એમની આંખો માં છલકતું વ્હાલ યાદ કરું તો મને “રમૈયા વત્સા વૈયા” ગીતનો આ અંતરો યાદ આવે – ” ઉસ દેશમે, તેરે પરદેસ મેં , સોને ચાંદીકે બદલે મેં બિકતે હૈ દિલ, ઇસ ગાવ મેં, દર્દ કી છાંવમેં , પ્યારકે નામ પરહી તડપતે હૈ દિલ.”
ધણીવાર નાસીપાસ થઇ જવાય, એકલતા અનુભવાય, દરેક માણસને ક્યારેકતો એવો વિચાર આવેજ છે કે સાલું કોઈ નથી આ દુનિયામાં જે મને ચાહતું હોય. એકલતાની આજ લાગણી આ ગીતની આ એક લાઈન સાંભળી ને અનુભવી શકાય છે ” મેરી આંખો મેં રહે, કૌન જો મુજસે કહે, મૈને દિલ તુજકો દિયા, મૈને દિલ તુજકો દિયા, હો રમૈયા વત્સા વૈયા…. રમૈયા વત્સા વૈયા….