hello guyz & girls, વડીલો અને મિત્રો , વાત જાણે એમ છે કે વાત કઈ જ નથી ! અને મારી તો ટેવ જ છે કે મને જયારે ખબર હોય કે વાત માં ખાસ દમ નથી ત્યારે હું પોતે જ કહી દઉં છું -( એટલે સમજુ લોકો પોતાનું હિત સમજીને આનાથી દૂર રહે ) બીજું કોઈ કહે કે ના કહે ! તમે વખાણશો તોય મારો અભિપ્રાય એ જ રહેશે. તો પછી તમને કદાચ પ્રશ્ન થાય કે આ નબળું સાહિત્ય પ્રગટ કરવાનો કોઈ મતલબ ખરો ! જો લેખક પોતે જ એમ કહેતો હોય કે આ નબળું છે તો એ એને પ્રગટ કરવાની મુર્ખામી શું કામ કરે છે ? તો એ મુર્ખામી એટલા માટે કે સાહિત્ય ગમ્મે તેવું હોય નબળું કે સબળું એને પ્રગટ થવાનો પૂરે પૂરો હક છે ! કેમ કોઈ ફિલ્મ ખરાબ બની હોવા છતાં (અને દિગ્દર્શકને એની જાણ હોવા છતાં ) રીલીઝ કેમ થાય છે ? હા , પૈસા લાગ્યા હોય એ કારણ તો ખરું જ ! પણ સાથે મહિનાઓ સુધી પરસેવો પાડીને કરેલી મહેનત નું શું ? એ મહેનત માત્ર પૈસા માટે નથી હોતી , એ એક કલાકારની મહેનત હોય છે , કલાનું સર્જન કરવા માટે , પછી એ સર્જનમાં જો એની ઊણપ રહે તોય એ સર્જન ને એ સમાજની વચ્ચે મુકે છે , અને ઘણીવાર એવું પણ બને કે લોકો ખરાબ માંથી પણ સારું શોધીને મેળવી લે ! અને ક્યારેક એવું પણ થાય કે સર્જકને પોતાના સર્જનથી સહેજ પણ સંતોષ ના હોય પણ બીજા કોઈ ને એ સર્જન અતિશય પ્રિય થઇ પડે , જેમ કે રામ ગોપાલ વર્મા ની ફિલ્મ “મસ્ત ” મને ખુબ જ મસ્ત લાગેલી , અતિશય ગમેલી ને વારંવાર જોયેલી , પણ રામ ગોપાલ વર્માએ એ ફિલ્મ વિષે એમ કહ્યું છે કે મારી એ ફિલ્મ થી હું સંતુષ્ટ નથી , એના સર્જનમાં ઘણી ખામીઓ રહી છે સાથે આફતાબના અભિનય થી પણ રામ ગોપાલ વર્મા ને સંતુષ્ટિ ન હતી (અફકોર્સ મને તો આફતાબ નો અભિનય પણ ખૂબ ગમેલો)
સાહિત્ય બાબતે પણ મારું એવું જ માનવું છે કે લેખકને જો એમ લાગે કે આ સર્જનમાં કશીક ઊણપ રહી ગઈ છે , છતાં ય તેને પ્રગટ તો કરવું જ જોઈએ. (અફકોર્સ , લોકોના નેગેટીવ પ્રતિભાવ સાંભળવાની તૈયારી સાથે ) કારણ કે સર્જન થઇ ગયા પછી એ માત્ર તમારી જ મિલકત બની ને રહેતું નથી , એ સર્વે કલા રસિકોની મિલકત છે , જેમ કે દેવ આનંદની ફિલ્મ તીન દેવીયા નું “ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત… ” ગીત , રાજ કપૂરની દરેક ફિલ્મ અને દરેક ગીત … આ બધું મારા માટે કોઈ મિલ્કતથી કમ નથી ! એ રીતે તમારી પણ આવી મિલકતો હશે ! દરેકની હોય છે ! માટે હું મારા સર્જન ને એની તકદીર જાતે જ નક્કી કરવા દઉં છું , હું કોણ છું એને સારું કે ખરાબ કહેવા વાળો ! બે કે ત્રણ વ્યક્તિઓ ના મંતવ્યો કોઈ સર્જનનું ભાગ્ય નક્કી કરી શકતા નથી .
અને ઊણપ લાગતી હોય એવા સાહિત્યને પછી હું ક્યારેય ચૂંથતો પણ નથી . એવું મઠારવા જઈએ એમાં ક્યારેક એ સર્જનનો આત્મા મરી જતો હોય છે , એ આત્મા જેને લઇ ને એ સર્જન પેદા થયું હોય છે .
તો એટલે આ મેં બે દિવસ પહેલા કવિતા જેવું કશુક લખેલું , એ રજુ કરું છું , મન થયું એટલે લખેલું અને મન ફાવે એમ લખેલું , તમે વાંચવું હોય તો વાંચજો પણ બહુ મન પર ના લેતા …. જય માતાજી !
અંધકારમય જીવનમાં દિશાઓ ભૂલી ગયો
મારી હથેળીમાં ભાગ્યનો સુરજ આથમી ગયો
ચાર દીવાલની વચ્ચે વસાવેલા એક ઘરમાં
યાદ નથી ક્યારે હું પાતાળમય બની ગયો
ગરમ હવાઓના સુસવાટાઓમાં બળતો રહ્યો
જ્વાળામુખી જલતો રહ્યો ને હું રાખ બની ગયો
મારા અસ્તિત્વનો ઇનકાર કરતું એક નગર વસતું રહ્યું
હું કોઈને યાદ નથી એવો એક ભૂતકાળ બની ગયો
જીવનભર કોઈ તહેવાર નહોતો ઊજવ્યો “યુવરાજ ”
મોત આવ્યું તો મારે મન એ એક ઉત્સવ બની ગયો