આજ થી કહેવી છે – નવા જૂની ! અનુભવો પરથી તારણ તો મેં એવું જ કાઢ્યું છે કે પોતાની સાથે બનતી દરેક ઘટના લખવા જેવી નથી . અમુક બાબતો પોતાના માઈન્ડના પ્રાઈવેટ મેમરી ડ્રાઈવ માં જ સેવ કરીને રાખવી પડે . અંગત ડાયરી પણ ક્યારેક તો જાહેર થતી જ હોય છે , માટે બહુ ચર્ચાસ્પદ બને એવી બાબતો જાહેર કરવામાં નહિ આવે એવા ખુલાસા સાથે આજ થી શરુ કરું છું આ વિભાગ – નવા જૂની. છતાંય આપે મારા “મેરી કહાની , ગીતો કી ઝુબાની ” વિભાગની પોસ્ટ્સ વાંચી હશે તો તમને જાણ હશે જ કે અમે સાવ એવાય ડરપોક નથી. ઇન ફેકટ, મારી અંગત બાબતો બ્લોગ પર લખવી એ મારા માટે ચર્ચમાં થતા કન્ફેશનસ સમાન છે,અને મને એમ કરવું ગમે છે – માટે હું ગમ્મે તેટલું ખુલાસાઓ નહિ કરવાનું નક્કી કરું તોય , મને ખુદ પર કાબુ નહિ જ રહે અને આ ભાયડો ભડાકા કરશે જ એવી તૈયારી સાથે તમે વાંચવાનું શરુ કરો અને હું લખવાનું શરુ કરું છું – નવા જૂની !
આ વખતની નવા જૂની – માત્ર ને માત્ર રંગભૂમિ વિશે
– પહેલી વાર એક કમર્શિયલ ફૂલ લેન્થ નાટકમાં અભિનય કર્યો – “વળતર”, લેખક – ભીષ્મ સહાની અને દિગ્દર્શક – નિમેશ દેસાઈ , નાટકનો પહેલો શો નવમી ફેબ્રુઆરી ૨૦૧૩ ના રોજ અમદાવાદના જય શંકર સુંદરી હોલમાં હતો , બીજો જયપુર અને ત્રીજો શો પ્રાંતિજમાં કર્યો , ચોથો શો ફરી અમદાવાદમાં ૧૩ મી મે ૨૦૧૩ ના રોજ થશે. મારું પાત્ર બટનની ફેકટરીના માલિક – શેઠનું હતું . યસ અફકોર્સ , મને ખુબ મજા આવી , પ્રેક્ષકો ને પણ ! મિત્રો – સ્નેહીજનો એ ખુબ ઉત્સાહભેર મને જોયો અને વખાણ્યો – બીજું શું જોઈએ !

“વળતર” ના પહેલા શોની તસ્વીર . ડાબેથી શશાંક,નાના શેઠના પાત્રમાં , વચ્ચે શેઠના પાત્રમાં હું અને જમણે પાલાભાઇ મુનીમના પાત્રમાં
– “ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી” દ્વારા યોજાતી પાંચ દિવસની નાટ્ય શિબિર પણ ભરી . એવરેજ એક્સપીરીયન્સ રહ્યો .
– જાન્યુઆરીમાં શેરી નાટકો કર્યા હતા , અને એનો અનુભવ શ્રેષ્ઠ રહ્યો . જે લોકો ભાગ્યે જ કોઈ ફિલ્મ જોતા હોય અને નાટક તો ક્યારેય જોયું જ નાં હોય એના નાના ગામના લોકો ને મનોરંજન આપીને ખુબ સંતોષ થયો. કુલ પાંચ દિવસમાં નાટકના દસ શો કર્યા , દસ અલગ અલગ ગામમાં !
– મહિનામાં અનેક ફિલ્મો થીયેટરમાં જોઈ લેતા એવા અમે ( હું અને મીસીસ ) છેલ્લા બે મહિનામાં એક પણ ફિલ્મ થીયેટરમાં નથી જોઈ ! આ ઐતિહાસિક ઘટના બનવા પાછળ નું કારણ – નાટક ! છેલ્લા બે મહિનામાં અમે ૧૫થી પણ વધારે નાટકો જોઈ નાખ્યા . એટલે ફિલ્મ જોવા જવાનો ટાઈમ જ ના રહ્યો . અને ખાસ ખર્ચો પણ નાં થયો કારણ કે આમાં બે નાટકોને બાદ કરતા બાકીના બધા નાટકોમાં ફ્રી આમંત્રણ થી ગયેલા . ઘણા નાટકો સારા હતા , અને કેટલાક નાટકો વાહિયાત પણ હતા , ગમેલા દરેક નાટકની વાત ન કરતા સૌથી વધારે ગમેલા નાટકનું નામ આપી દઉં – “અંતિમ અપરાધ ” લેખક – ડો . રઈશ મનીયાર અને દિગ્દર્શક વિરલ રાચ્છ. જામનગર ની ટીમ છે , અને અભિનંદન ને પાત્ર છે . જામનગર જેવું શહેર જ્યાં નાટકનું માર્કેટ નથી , ત્યાં રહી ને પણ આ પ્રવૃત્તિ કરવી અને બધા છક થઇ જાય એવું નાટક તૈયાર કરી ને બતાવવું એ બદલ ખરેખર – હેટ્સ ઓફ !
– ઊનાળો શરુ થયો છે અને નાટકોનું માર્કેટ ધમધમી રહ્યું છે , એકથી એક ચડિયાતા નાટકો અમદાવાદમાં ભજવાઈ રહ્યા છે .અમદાવાદમાં ભજવતા નાટકના શોઝ ની સંખ્યા કાયમ હોય એના કરતા ચાર ગણી વધી ગઈ છે. ઓલ થેન્ક્સ ટુ વેકેશન ! પણ અમારે નાટકોનો ઓવર ડોઝ થયો હોવાથી આ વખતે અમે નાટકોના આ વેકેશન માર્કેટને કમાણી નહિ કરાવીએ , અને ટૂંક સમયમાં અમે એકાદું પિક્ચર જોઈ આવશું . જોકે વેકેશનના લીધે ફિલ્મનું માર્કેટ પણ ગરમ છે.
– થોડા દિવસ પહેલા એક નાટક લખવાનું પણ શરુ કર્યું , અને નવલકથાઓ લખતી વખતે થાય છે એવું નાટકમાં પણ થયું , થોડું લખાયું અને પછી ગાડું અટકી ગયું. પણ નવલકથાઓમાં ગાડું અટકી અટકીને ય ચાલે છે તો ખરું , અને મહિનાઓ નહિ તો વર્ષોમાં પણ હું નવલકથા પૂરી તો કરું જ છું , બિલકુલ એ જ રીતે , મને વિશ્વાસ છે કે આ નાટક પૂરું તો થશે જ , પણ કયા વર્ષમાં એ કહેવું મુશ્કેલ ! મારા પબ્લીશર્સ નું પણ એવું જ ખાતું છે , મારી નવલકથા ” સોદો ” ની તેમણે બટર તૈયાર કરી છે , અને આ વર્ષમાં તેઓ પબ્લીશ કરી દેશે તેવી ગણતરી છે , પણ આ વર્ષનો તે કયો મહિનો હશે એ કહેવું મુશ્કેલ !
– મારી સાથે નાટકમાં કામ કરતી મારા જેટલી જ ઉમર ની એક છોકરી વનશ્રી એ દુનિયામાંથી કાયમી વિદાય લીધી – નવમાં માળેથી જીવન ટૂંકાવી ને. હસમુખો સ્વભાવ અને હંમેશા બસ નાટક નાટક ને નાટકમાં જ રચયી પચ્યી રહેતી વનશ્રી ને આ દુનિયામાં શું દુખ હતું એ કોઈ ના જાણી શક્યું. એના જીવનના છેલ્લા ૩ મહિનામાં મેં એની સાથે ઘણો સમય વ્યતીત કર્યો – સાથે શેરી નાટકો કર્યા , “વળતર ” નાટકમાં પણ તે સહાયક દિગ્દર્શક હતી , સાથે એક નાનો રોલ પણ કરી રહી હતી. એણે ભજવેલા એક નાટક માં પણ એ આજ રીતે મરજીથી જીવન ટૂંકાવીને મૃત્યુ પામે છે, એ દ્રશ્ય ખુબ દ્રાવક છે , મને ફરિયાદ હતી કે એ આમ કશું કહ્યા વગર કેવી રીતે જઈ શકે ! પેલા નાટકમાં એ છેલ્લા શ્વાસો માં કહી ને જાય છે – “સ્ત્રીની તો જાત જ હવા જેવી હોય છે… ક્યારે વિલીન થઇ જાય , કશું કહેવાય નહિ.” તું ખુબ યાદ આવીશ વનશ્રી.
શરૂઆતથી વાંચવાની મજા આવી પણ છેલ્લે ખરેખર દુખદ ઘટના ઘટી 😦 . . . કાશ , હવે તેણીને સારું મૃત્યુ પ્રાપ્ત થાય અને તેણી સામેપારની દુનિયામાં ખુશ રહે .
yes, R.I.P. vanashree
છેલ્લે પણ જયારે તમારો ફર્સ્ટ શો હતો ત્યારે જોવા આવવા ની ઈચ્છા હતી અને પરીક્ષા નડી ગઈ હતી, અને આ વખતે પણ ફાઈનલ પરિક્ષા ચાલુ હશે….. તો પણ જો ડેટ ચેન્જ થાય તો સારું…
અને શેરી નાટકની ખરેખર મજા જ અલગ છે….. મેં શેરી નાટકમાં અભિનય કરવાનો એક્સપીરીયન્સ જન્માષ્ટમી વખતે કર્યો હતો ‘સ્વાધ્યાય’ તરફ થી…..
હવે એન્જીનીયરીંગ પૂરું થાય એટલે અમદાવાદ આવી ને તમારી નોવેલ લઇ આવવાનો વિચાર છે….
વનશ્રી બહેન ને ઓળખતો ન હોવા છતાં વાંચીને બહુ જ દુખ થયું…..RIP.
વાહ , તમે ગાંધીનગર રહો છો છતાં મારૂ નાટક જોવા અમદાવાદ આવવાની ઈચ્છા ધરાવો છો , તુસ્સી તો મેનુ ઈમોશનલ કર દીત્તા સી 🙂
મેં પણ “સ્વાધ્યાય” નું એક શેરી નાટક જોયેલું , મજા આવેલી
મારી નોવેલ…… – અગેઇન ઈમોશનલ કર દીત્તા સી 😉 🙂
અને હા , “વળતર” ના શો ના ફોટામાં મારી રાઈટ સાઈડ પાલાભાઇ ઊભા છે એ પણ ગાંધીનગર જ રહે છે !
wishing best of luck for your exams
કન્ફેશન –
આજે ટાઈટલ વાંચી, પોસ્ટ વાંચી, ગમ્યુ. હવેથી પોસ્ટના પાનાઓમાં પણ ઉતરવાનું થશે.
નહી ઉતરવાનું કારણ પણ જણાવી દઊં –
આગલી પોસ્ટ ‘અજનબી…’ શબ્દ મને –
ની યાદ આપે અને પોસ્ટના ફોટોગ્રાફ બીજે લઈ જાય, એનું મેચીગ ક્યાંથી થાય ?
– “સ્ત્રીની તો જાત જ હવા જેવી હોય છે… ક્યારે વિલીન થઇ જાય , કશું કહેવાય નહિ.”
લાગણીઓનું દબાણ કેટલું પાવરફુલ હોય તેની પૃષ્ટિ સ્વ. વનશ્રીએ આપી.
હળવા બનતા રહેવામાં મજા છે.
મારું પણ આ ગમતું ગીત છે જગદીશ અંકલ – જેમ હું જૂની ફિલ્મોના સંગીતમાં છલાંગ લગાવતો હોઉં છું તેમ ક્યારેક તમે પણ નવા ગીતો ની દુનિયા પર નજર ફેરવી જુઓ ! ક્યારેક તો તમને પણ મજા આવશે જ ! આ એક નવી ફિલ્મ નું ગીત છે – “ચલો સનમ અજનબી બન જાયે … ” શબ્દો ઓલા જુના ગીત સાથે ભળતા સળતા છે પણ ગીત તદ્દન જુદા પ્રકારનું છે.
અને હા , તમને પોસ્ટ ગમી એથી ઘણો આનંદ થયો 🙂
શેરી નાટકોના અનુભવો લખીશ તો સમાજનું મુળ સ્વરુપ ઉજાગર થશે.
વણમાગી સલાહ ! 🙂
તે વખતે જ લખ્યું હોત તો લખાઈ ગયું હોત , હવે બધું યાદ કરીને લખવું પડે , પણ હું આ વિષે ચોક્કસ વિચારીશ , અને જો લાગશે કે કશું રસપ્રદ ઊપજે એવું છે તો જરૂર લખીશ
ખુબ સરસ. તમે રંગભુમિના અફલાતુન કલાકાર છો એ જોઇને ખુબ આનંદ થયો.
અક્ષય કુમાર નું “અફલાતુન ” પિક્ચર ગમેલું , એટલે તમારું આ સંબોધન પણ ગમ્યું , થેન્ક્સ એ લોટ 🙂
મિત્ર યુવરાજ,
જ્યારે જ્યારે તમારા બ્લોગની મુલાકાત લઉં છું ત્યારે ત્યારે મનગમતું મળ્યાનો આનંદ થાય છે. તમે નાટ્યપ્રવૃત્તિમાં રસ ધરાવો છો એ મજાની વાત છે. તક મળી છે તો હું પણ કહી દઉં કે- મેં પણ ક્યારેક નાટકમાં ભાગ લીધો છે. એક તો ત્રીજા ધોરણમાં હતો ત્યારે શ્રવણ બન્યો હતો. અને, વર્ષો પછી ….૧૯૭૯ની આસપાસ અમરેલીમાં શ્રી રમેશ પારેખે એબસર્ડ નાટક લખવાનો પ્રયોગ કર્યો હતો, એ નાટક ‘એક પૈડું ચોરસ છે’ માં એક પત્ર ભજવવા મળ્યું હતું. કોઈ તૈયાર ન હતું એટલે મેં સાહસ કર્યું હતું! 😀 .. પણ મજા આવી હતી. રમેશભાઈ રાતના બે વાગ્યા સુધી રીહર્સલ કરાવતા. ‘નાટક’નું વળગણ છે એટલે જ તો હજી લખવાનું મન થાય છે.
વાહ સર , આપે રમેશભાઈ સાથે પણ કામ કર્યું છે ! એન્ડ ટૂ બી વેરી ઓનેસ્ટ મને જયારે પણ કોઈ પ્રશ્ન પૂછે છે કે સૌથી પ્રિય બ્લોગ કયો ? તો દર વખતે મારો એક જ જવાબ હોય છે – “અસર” , અને એ ગમવા પાછળ ના અનેક કારણો છે જે હું વિસ્તૃતમાં જણાવતો હોઉં છું. આપનું મેઈલમાં મળેલું નાટક વાંચી ગયો, મોજ પડી , અને આખો દિવસ મન પર પણ સવાર રહ્યું . આપે આપેલ નંબર પર હું સંપર્ક કરી જોઇશ ,
શેરી નાટકની તસવીર આનંદની સાથે શોક આપનારી રહી. વનશ્રી હવે નથી એ જાણીને આઘાત લાગ્યો.
ગામનાં નાનાં ભૂલકાઓ સાથે તમને જોઈને ‘ધન્યવાદ’ આપવાનું મન થાય છે. આ એક ખૂબ જ સંતોષ આપનારી બાબત છે. જે આપણા હૃદયમાં સંવેદના માટે જગ્યા કરે છે. મારી સુપૂત્રીને અભ્યાસનાં ભાગ રૂપે શેરી નાટકો કરવાનું બનતું હતું. ત્યારે હું એ નાટકોની સ્ક્રિપ્ટમાં મદદ કરવાની જવાબદારી હોંશે હોંશે લેતો. એ શેરી નાટક કરીને આવે ત્યારે એના અનુભવો જાણીને એક પ્રકારનો સંતોષ થતો. સામાજિક વિષય હોય અને મોટાભાગે ચોક્કસ મુદ્દા પર જ લખવાનું હોય એટલે બહુ મોકળાશ ન રહે છતાંય બને એટલી સ્વાભાવિકતા લાવવાનો પ્રયાસ કરતો હતો. અને એનું પરિણામ સારું આવતું ત્યારે મને અવોર્ડ મળ્યો હોય એવું લાગતું હતું.
યુવરાજભાઇ તમેતો નાટકમાં પણ અદ્ભુત કામ કરો છો
મારા બાપા પણ નાટકમાં કામ કરતા મારો નાનો દીકરો સથીશ પણ નાટકમાં ભાગ્લ્યે છે વર્ષો પહેલા તેનું નાટક ગાંધીનગર અને વડોદરામાં પણ ભજવેલું હાલ સતીશ અમેરિકા નાં લુજીયાના સ્ટેટમાં રહે છે .અહી પણ કોઈ કોઈ વખત નાટકમાં ભાસ્ગ લ્યે છે ખરો મેં પણ અહી ફિનિક્ષ્મા એક નાટકમાં ભાગ લીધેલો ખરો
વાહ આતા , તમારો તો આમેય વટ પડે છે , તો પછી નાટકમાં તો જામો પાડી દેતા હશો