એક બીજો લેખ , “મેરી કહાની , ગીતો કી ઝુબાની” હારમાળાનો. એટલે દિવાળી માટે હાલ પુરતું તો તમને પીરસવા માટે મારી પાસે કોઈ સ્પેશીયલ દિવાળી મીઠાઈ નથી. એ જ જુનો બાજરા નો રોટલો છે જે હું તમને હંમેશા પીરસતો આવ્યો છું, પણ દિવાળી છે તો સાથે ગોળ પણ મુક્યો છે તમારું મોઢું મીઠું કરવા. અને એ ગોળ છે મારી આપ સૌને નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ, અને શુભ દીપાવલી. આપની જીંદગી નું આ વર્ષ મંગલમય રહે , એ જ પ્રભુ ને પ્રાર્થના. નવા વર્ષમાં બધા મિત્રોને ફોન કરીને સાલ મુબારક કહેતો હોઉં છું, આપ સૌના નંબર હોત તો નવા વર્ષમાં આપ સૌની સાથે પણ વાત કરત, પણ વાત નથી થઇ શકી તોય મને લાગે છે કે હું આપ સૌને બેસ્ટ રીતે સાલ મુબારક કહી શક્યો છું કારણ કે પહેલા તો આ જ રીવાજ હતો ને ! દિવાળી કાર્ડ , પોસ્ટ કાર્ડ! સો ધીસ ઈઝ માય દિવાળી કાર્ડ ટૂ યુ ! ગમ્યું ? તો પ્રિન્ટ કાઢી લેજો હો ને ?
ફિલ્મ – અનુરોધ
વર્ષ – ૧૯૭૭
ગાયક – કિશોર કુમાર
ગીતકાર – આનંદ બક્ષી
સંગીત – લક્ષ્મીકાંત પ્યારેલાલ
ઢળતી સાંજ હતી, મારું મન ઉદાસ હતું, શહેરની ભીડ વચ્ચે હું રસ્તા પર ચાલતો જઈ રહ્યો હતો ત્યાં જ કિશોર કુમારનો સુરીલો અવાજ કાને પડ્યો. એક ગીત, જે પહેલા ક્યારેય સાંભળેલું નહોતું,કોઈક દુકાનમાં વાગી રહ્યું હતું. જે સાંભળતાવેંત જ મન રિલેક્સ થઇ ગયું. શું શબ્દો હતા બાકી ! દિલ પોકારી ઊઠયું .. આફરીન ! આફરીન!
“જબ દર્દ નહિ થા સીનેમેં તબ ખાખ મઝાથા જીને મેં , અબ કે શાયદ હમભી રોયે, સાવનકે મહીનેમે..”
સંઘર્ષ વિનાનું જીવન બધા ઝંખતા હોય છે, પણ આપણે બોસ જરા જુદી માટીના…., સંઘર્ષ તો જોઈએ જ, જો બધું બરાબર ચાલતું હોય તો ના હોય ત્યાંથી સંઘર્ષ ઊભો કરવાવાળાઓની એક જમાત હોય છે, જેમાં હું પણ આવું છું. છેલ્લે કઈ નઈ તો મગજમાં કોઈ વિચારોનો સંઘર્ષ તો ચાલુ જ હોય, અને આ પ્રકારના માનસિક સંઘર્ષ સેન્સીટીવ લોકોને જ થાય. બાકીના લોકો ખાલી અક્ષય કુમાર વાળું “સંઘર્ષ” ફિલ્મ જોઈ શકે! (બાપુ, હથોડા ના મારો !!! )
દર્દનો પણ એક નશો છે યાર, દારૂડિયા તો ઘણા હોય, પણ એ બધા કઈ દેવદાસના હોય. (એક આડવાત કરી લઉં, કે અમુક લોકો એમ માને છે કે દેવદાસ નું પાત્ર નથી સારું. એણે દારુ પીને શું ધાડ મારી? એણે પારો સાથે શું ન્યાય કર્યો? પણ એવું નથી ભાઈ, જરા સમજો! એણે પારો સાથે ખોટું કર્યું એનો એને પસ્તાવો છે, અને તે દારૂડિયો થઇ જાય છે તે તેના પસ્તાવાની પરાકાષ્ઠા છે. height of guilt. એવી પ્રેમની કે પસ્તાવાની પરાકાષ્ઠા પર સેન્સીટીવ માણસ જ જઈ શકે, દેવદાસ જ જઈ શકે. પણ જે લોકો જીવનમાં ખાલી નાકે સુધી શાક લેવા જ ગયા હોય તે શું સમજી શકવાના કે પ્રેમની પરાકાષ્ઠાએ કઈ રીતે જવાય! ) દુનીયા કે સમાજ તમારા દુઃખને લાફ્ટર ચેલેન્જનો શો સમજે છે,(સાચું કહું છું યાર, લોકોને બીજાના દુઃખ પર હસવાના વિકૃત શોખ હોય છે,મેં તો થીયેટરમાં પણ જોયું છે, ફિલ્મનું કોઈ મુખ્ય પાત્ર પોતાના અંતિમ શ્વાસો ગણી રહ્યું હોય અને ક્યાંકથી હસવાનો અવાજ આવે! ) કારણ કે એમને કોથમીરના ભાવ જ ખબર હોય , હૃદયના ભાવ આ બેદર્દ દુનિયા શું જાણવાની,(હે દુનિયા, તું મારા પર હસે છે અને હું તારા પર! તું કેવી દયનીય છે, લોકોના દુઃખ પર હસે છે! ઈશ્વરે તને સંવેદનાઓ જ નથી આપી, પુઅર બેબી!) એટલે જ તો આ ગીતની શરૂઆતમાં જ દુનિયાની ફિતરતને ધ્યાનમાં રાખીને એક મસ્ત શેર કહેવામાં આવ્યો છે,
“ના હસના મેરે ગમ પે , ઇન્સાફ કરના,
જો મેં રો પડું તો , મુજે માફ કરના .”
ચાર્લી ચેપ્લિનનું એક વિધાન છે કે હું વરસાદમાં રડવાનું પસંદ કરું છું, જેથી કોઈને મારા આંસુ ના દેખાય. એના પરથી જ કદાચ ગીતકારે આ ગીતમાં શબ્દો લીધા હશે “અબ કે શાયદ હમભી રોયે, સાવનકે મહીનેમે..”
હીરો ઘસાયો છે એટલે ચમક્યો છે , મનમાં વિચારોના સંઘર્ષ થયા છે , એટલે દિમાગ ફળદ્રુપ બન્યું છે અને એટલે જ કહ્યું છે કે “જબ દર્દ નહી થા સીનેમેં તબ ખાક મઝા થા જીનેમેં“
*અંતરો ૧
જોકે દુનિયાની જેમ મારો પણ સ્વભાવ છે, બીજાના દુઃખ કરતા પોતાનું દુઃખ જ હંમેશા મોટું લાગે! ભાગ્યે જ કોઈક ની વાત, કોઈક નું દર્દ સ્પર્શી જાય, હા માનું છું કે મેં હમણાં જ ઈમોશનલ હોવાના દાવા કર્યા, જે હવે ખોટા સાબિત થતા હોય, તો એમ રાખો, પણ ક્યારેક મને પણ કોઈ મિત્રની કોઈ વાત સ્પર્શી જાય છે (જોકે મોટેભાગે એમાં પણ એવું હોય કે એ મિત્રનું દુઃખ પોતાના કોઈ દુઃખ સાથે સામ્ય ધરાવતું હોય ત્યારે આપણને તે વાત વધારે સ્પર્શે, ઓલો કોઈક જાણીતા શાયરનો કોઈક જાણીતો શેર છે ને કે – દૂસરો કે દર્દ પર કોન રોતા હૈ, વો તો અપને હી કિસી ગમ કો યાદ કર કે રોયા હોગા. શબ્દો જરા આગળ પાછળ હશે પણ શેર કૈક આવો જ છે, કદાચ અહેમદ ફરાઝ નો છે.) નામ નહિ કહું, પણ મારો એક મિત્ર છે ત્રીસેક વર્ષનો. એના જીવન ના પ્રેમ પ્રકરણની એણે વાત કાઢેલી અને પછી બોલતા બોલતા એ એવડી એ છોકરીને યાદ કરીને રડી પડેલો.
યારો કા ગમ ક્યા હોતા હૈ,
માલૂમના થા અન્જાનો કો,
સાહિલ પે ખડે હોકે અક્સર દેખા હમને તુફાનો કો,
અબ કે શાયદ દિલ ભી ડૂબે મોજો કે સાફિને મેં, જબ દર્દ નહિ થા…
*બીજો અંતરો
મારી પણ આદત એવી કે હશે યાર, જવા દો, ભૂલી જાઓ, થઇ ગયું, પતી ગયું….પણ ક્યાં સુધી? પહેલા ક્યારેય નહોતો રડતો પણ હવે ક્યારેક મને પણ રડવું આવી જાય છે, અને જયારે આવે છે, ત્યારે ભરપુર આવે છે, હૃદય પહેલા કદાચ વધારે મજબુત હશે….
ઐસે તો ઠેસ ના લગતી થી,
જબ અપને રૂઠા કરતે થે,
ઐસે તો દર્દ ના હોતા થા,
જબ સપને તૂટા કરતે થે,
અબ કે શાયદ દિલ ભી તૂટે,
અબ કે શાયદ હમ ભી રોયે, સાવન કે મહીને મેં
જબ દર્દ નહિ થા…
ત્રીજા અંતરામાં બહુ પ્રેક્ટીકલ વાત કીધી છે, કોઈ કોઈને ગમ્મે તેટલું ચાહતું હોય, પણ તે ના હોય ત્યારે તેના વગર પણ તે રહેતા શીખી લે છે,
ઇસ કદર પ્યાર તો કોઈ કરતા નહી,
મરનેવાલોં કે સાથ કોઈ મરતા નહીં
અને ગીતની આ બે લાઈન….આહ! “પ્યાસા” નો ગુરુદત્ત યાદ અપાવી દે છે
આપકે સામને ફિર ના મેં આઊંગા,
ગીત હી જબ ના હોંગે તો ક્યા ગાઉગા,
(આડવાત – “પ્યાસા” ની રીમેક બની રહી છે જેમાં આમીર ખાન અને કેટરીના મુખ્ય ભૂમિકામાં નજર આવશે )
અને છેલ્લે ગીતમાં ફિલ્મનું પાત્ર (રાજેશ ખન્ના) રીક્વેસ્ટ કરે છે કે જો તમને મારો અવાજ સારો લાગ્યો હોય તો એટલું કરજો કે મારો એક મિત્ર મરણ પથારીએ છે, એ બચી જાય એવી પ્રાર્થના કરજો
મેરી આવાઝ પ્યારી હૈ તો દોસ્તો…
યાર બચ જાયે મેરા…. દુઆ! સબ કરો….
અને છેલ્લે હું એ રીક્વેસ્ટ કરું છું કે જો તમને મારું લખાણ સારું લાગતું હોય તો પ્લીઝ નીચે આપેલી લીંક પર ક્લિક કરી ને આ ગીત સાંભળો કારણ કે આ ગીત મારા ખૂબ ગમતીલા ગીતો માંનું એક છે…